SSC HSC Board Exam : ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષામાં ટૉપર થવા કેવી તૈયારી કરવી જોઈએ?

    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

કોરોનાકાળ દરમિયાન ઑનલાઇન શિક્ષણને કારણે વિદ્યાર્થીઓની લખવાની પ્રૅક્ટિસ છૂટી ગઈ છે, જેના કારણે તેઓ ઑફલાઇન પરીક્ષા પ્રત્યે ખચકાટ અનુભવી રહ્યા છે.

વિદ્યાર્થીઓને આશંકા છે કે તેઓ નિર્ધારિત સમયમર્યાદામાં પેપર પૂરેપૂરું લખી નહીં શકે.

વિદ્યાર્થી

ઇમેજ સ્રોત, Getty Images

ગુજરાતમાં બોર્ડની પરીક્ષાઓ આગામી 28 માર્ચે લેવાવાની છે, એવા સમયે વિદ્યાર્થીઓ કેટલીક મૂંઝવણી પણ અનુભવી રહ્યા છે. અહીં કેટલાક શિક્ષણ-નિષ્ણાતો સાથે વાત કરીને પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી જોઈએ તેની ટિપ્સ આપવામાં આવી છે.

અમદાવાદની 12 જેટલી શાળામાં ધો. 10 અને 12ના વિદ્યાર્થીઓના કાઉન્સેલિંગનું કામ કરતાં મીનાક્ષી જોશીએ બીબીસી સાથે વાત કરતાં કહ્યું, "કોરોનાકાળમાં ઑનલાઇન શિક્ષણ દરમિયાન અનેક વિદ્યાર્થી ક્લાસમાં બેસતા ન હતા. શાળાઓ દ્વારા ફી લેવામાં આવતી હતી, પરંતુ બાળકો ભણતાં ન હતાં, એવી વાલીઓની સામાન્ય ફરિયાદ હતી."

"આથી શાળાઓએ નિષ્ણાતોની મદદ લીધી હતી. અમે ગેઇમ તથા અલગ-અલગ પ્રવૃત્તિઓ દ્વારા તેમનો ભણવા પ્રત્યે રસ કેળવવાનો પ્રયાસ કર્યો. આમ કરવાથી એકાગ્રતા પણ વધે છે."

મીનાક્ષીબહેન કહે છે કે આ વિદ્યાર્થી/વિદ્યાર્થિનીઓ હવે નવી સમસ્યા સામે ઝઝૂમી રહ્યાં છે અને કાઉન્સેલિંગ માટે તેમની પાસે આવી રહ્યાં છે. વિદ્યાર્થીઓને આશંકા છે કે લખવાની પ્રૅક્ટિસ છૂટી ગઈ હોવાથી તેઓ ઑફલાઇન પરીક્ષા નહીં આપી શકે.

આવા વિદ્યાર્થીઓનાં અલગ-અલગ જૂથ બનાવીને તેઓ જાતે પોતાનાં પેપર સૉલ્વ કરે અને તેનું મૂલ્યાંકન કરે. જે માર્કસ આવ્યા હોય તે વાલીઓને બતાવે અને તેઓ પણ ફરીથી પરીક્ષા લે.

આની પાછળનો તર્ક સમજાવતાં મીનાક્ષીબહેન કહે છે, "આમ કરવાથી ઓછા માર્ક્સ આવશે તો માતા-પિતા ખીજાશે, તેવો વિદ્યાર્થીઓનો ફોબિયા દૂર થયો છે. આ સિવાય વાલીઓ પણ તેમનાં સંતાનોની ક્ષમતાથી વાકેફ થયાં છે, એટલે તેમની અપેક્ષાઓ વાજબી બની છે. તેઓ વધુ માર્ક્સ માટે દબાણ કરતાં અટકે છે."

line

કેવી તૈયારી કરવી જોઈએ?

ડૉ. કિરીટ જોશી

ઇમેજ સ્રોત, Bhargav parikh

ઇમેજ કૅપ્શન, ડૉ. કિરીટ જોશી

લગભગ 15 જેટલી શાળામાં ડિરેક્ટર તરીકે સેવા આપતાં શિક્ષણશાસ્ત્રી ડૉ. કિરીટ જોશી વિદ્યાર્થીઓ દ્વારા પેપર સૉલ્વ કરવા મુદ્દે સલાહ આપતાં કહે છે, "વિદ્યાર્થીઓએ મિત્રો સાથે બેસીને ગ્રૂપમાં પેપર સૉલ્વ કરવાં જોઈએ."

"આ દરમિયાન 50 ટકાની ક્ષમતાવાળા વિદ્યાર્થીઓએ 35થી 45 ટકાની કૅપિસિટીવાળા વિદ્યાર્થીઓ સાથે મળીને પેપર સૉલ્વ કરવાં જોઈએ, નહીં કે 80-90 ટકાની ક્ષમતાવાળા વિદ્યાર્થીઓ સાથે."

આની પાછળનો તર્ક સમજાવતાં ડૉ. જોશી કહે છે, "વિદ્યાર્થીઓ પોતાનાથી હોશિયાર બાળકો સાથે બેસીને પોતાનાં પેપર સૉલ્વ કરે તો તેમનામાં લઘુતાગ્રંથિ આવી જવાની શક્યતા રહે છે. સામે પક્ષે 80-90 ટકા લાવનાર વિદ્યાર્થીઓ ઑવર કૉન્ફિડન્સમાં આવી જાય છે."

વિદ્યાર્થી

ઇમેજ સ્રોત, Getty Images

"એ લોકો પેપર વધુ હોશિયાર વિદ્યાર્થીઓ પાસે બેસીને પોતાનાં પેપર સોલ્વ કરે તો ઓછા માર્ક લાવનાર વિદ્યાર્થીઓ ને લઘુતાગ્રંથિ ના આવે, અને 80થી 90% માર્ક્સ લાવનાર વિદ્યાર્થીઓને અતિ-આત્મવિશ્વાસ ન આવે એટલે વિદ્યાર્થીઓએ એ પ્રકારે પોતાનાં ગ્રૂપ બનાવી લખવાની પ્રૅક્ટિસ કરવી, જેથી એમની ઝડપ વધે અને ઇન્ટરનલ કૉમ્પિટિશન થાય જેથી એમના માર્ક સારા આવે."

"ત્યાર બાદ એમને રાત્રે એમનાં માતાપિતા જોડે એ પેપર સોલ્વ કરવું જેથી એમની ક્ષમતા વધે અને એમને પ્રોત્સાહન મળે."

પ્રૅક્ટિસ કરવાથી આંતરિક સ્પર્ધાને કારણે માર્ક્સ વધે છે તથા તેમની ઝડપ પણ વધે છે. ડૉ. જોશી ભલામણ કરે છે કે વિદ્યાર્થીઓએ શિક્ષકો સાથે મળીને ઑબ્જેક્ટિવ અને સબ્જેક્ટિવ સવાલોને સમજી લેવા જોઈએ તથા કોના કેટલા માર્ક છે, તેની પૂરતી સમજ કેળવાશે.

ડૉ. જોશીના કહેવા પ્રમાણે, "બાળકો પેપર સૉલ્વ કરતાં હોય ત્યારે માતા-પિતાએ તેમને મદદ કરવી જોઈએ, જેથી કરીને તેમનો કૉન્ફિડન્સ વધે. પ્રશ્નપત્ર હાથમાં આવે એટલે પહેલાં વાંચી જવું જોઈએ અને જે પ્રશ્નોના જવાબ સારી રીતે આવડતા હોય, તેને સૌ પહેલાં લખી જવા જોઈએ. આમ કરવાથી કૉન્ફિડન્સ વધે છે."

line

આ છે ત્રણ સોનેરી સૂત્રો

મુક્તક કાપડિયા

ઇમેજ સ્રોત, Bhargav parikh

ઇમેજ કૅપ્શન, મુક્તક કાપડિયા

પેપર સૉલ્વ કરવા ઉપરાંત પણ કેટલીક બાબતો ધ્યાને લેવાથી વિદ્યાર્થીઓને તણાવમાં રાહત મળે છે અને તેમનો આત્મવિશ્વાસ વધે છે.

શિક્ષણશાસ્ત્રી મુક્તક કાપડિયાએ બીબીસી સાથે વાત કરતાં જણાવ્યું કે વિદ્યાર્થીઓએ પરીક્ષાના ભયને દૂર કરવા માટે પૂરતી ઊંઘ લેવી જોઈએ.

"આ સિવાય મર્યાદિત સમય માટે સંગીત સાંભળવું જોઈએ કે બીજી કોઈ મનગમતી પ્રવૃત્તિ કરવી જોઈએ, જેથી કરીને તણાવ દૂર થાય. પરીક્ષામાં સફળતાના ત્રણ મંત્ર છે. આત્મવિશ્વાસ, એકાગ્રતા અને દૃઢ મનોબળ."

કાપડિયા કહે છે કે 24 માર્કના વૈકલ્પિક પ્રશ્નો સામાન્ય વિદ્યાર્થીને પાસ થવામાં મદદ કરે છે, જ્યારે હોશિયાર વિદ્યાર્થીને વધુ ગુણ મેળવવામાં મદદ કરે છે.

"સૉલ્વ કરેલા પ્રશ્નોમાં જે ગૂંચવણ કે સમસ્યા ઊભી થાય, તેને શિક્ષક સાથે મળીને માર્ગદર્શન લેવાથી આત્મવિશ્વાસ વધશે. તેઓ લખીને પેપર સૉલ્વ કરવાનું પણ સૂચન કરે છે, કારણ કે આમ કરવાથી વધુ લખવાથી ઝડપથી યાદ થશે અને ઝડપ વધશે.

કાપડિયા ઉમેરે છે, "ટેક્સ્ટ-બુકમાં જે હોય તે લખવું કારણ કે આ વખતે અભ્યાસક્રમમાં કોઈ કાપ નથી."

line

ટૉપરની ટીપ

વિદ્યાર્થી

ઇમેજ સ્રોત, Getty Images

કેટલા માર્કનો પ્રશ્ન છે તથા તેના માટે કેટલો સમય ફાળવવો અને માર્ક મુજબ વિગતો લખવાનું સૂચન પણ કરે છે. એક મહિનાના ગાળા દરમિયાન આ માટે શક્ય એટલી પ્રૅક્ટિસ કરવી.

ધો. 12ની બોર્ડની પરીક્ષામાં 93 ટકા માર્ક્સ લાવનારાં મહિમા પટેલે બીબીસી સાથે વાત કરતાં કહ્યું, "અમે સબ્જેક્ટિવ તથા ઑબ્જેક્ટિવ સવાલોનું ટાઇમ મૅનેજમૅન્ટ કરતાં. ધો. 10 અને 12ની પરીક્ષામાં વધુ માર્ક્સ સ્કોર કરવા ઑબ્જેક્ટિવ પેપર પર ધ્યાન આપવું જોઈએ, જેથી કરીને રોકડા માર્કસ મળે."

"આ સિવાય જે આવડતું હોય, તે પહેલાં લખી લેવું જોઈએ, જેથી કરીને કશું છૂટી ન જાય. પરીક્ષા પહેલાં ઉજાગરા ન કરવા જોઈએ અને છેલ્લા એક મહિના દરમિયાન વધુ ને વધુ પેપર લખવાથી સારી પ્રૅક્ટિસ થાય છે અને સફળ થવામાં મદદ મળે છે."

લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો