Balakot: 292 ઉગ્રવાદીઓનાં મૃત્યુનો દાવો કેટલો સાચો?

- લેેખક, ફૅક્ટ ચેક ટીમ
- પદ, બીબીસી ન્યૂઝ
સોશિયલ મીડિયા પર એક કથિત વૉટ્સઍપ ચૅટના માધ્યમથી દાવો કરાય છે કે પાકિસ્તાનના બાલાકોટમાં થયેલા ભારતીય વાયુસેનાના હુમલામાં 292 ઉગ્રવાદીઓનાં મૃત્યુ થયાં હતાં.
જે લોકોએ વૉટ્સઍપ ગ્રૂપ્સમાં અને ફેસબુક ગ્રૂપ્સમાં કથિત વાતચીતના સ્ક્રીનશૉટ શૅર કર્યા છે, તેમણે દાવો કર્યો છે કે આ વાતચીત તેમના કોઈ ભારતીય મિત્ર અને બાલાકોટમાં રહેતા 'ડૉક્ટર ઇઝાઝ' નામની વ્યક્તિ વચ્ચે થઈ છે.
અધિકાંશ લોકોએ આ જ દાવા સાથે 3 સ્ક્રીનશૉટ શૅર કર્યા છે.
કેટલાક લોકોએ એ દાવો પણ કર્યો છે કે 'જે વ્યક્તિનું નામ સ્ક્રીનશૉટમાં દેખાઈ રહ્યું છે. તે બાલાકોટમાં જ ડૉક્ટર છે અને જે દિવસે હવાઈ હુમલો થયો, ત્યારે તેઓ ઘટનાસ્થળની નજીક જ હાજર હતા. એ માટે તેઓ મૃતકોનો સાચો આંકડો જણાવી શકે છે.'

તમે આ વાંચ્યું કે નહીં?

સ્ક્રીનશૉટમાં શું છે?

ઇમેજ સ્રોત, SM VIRAL POST
આ વાઇરલ ચૅટ પર નજર કરવામાં આવે તો તેની શરુઆત કંઈક આ રીતે થાય છે.
પાત્ર 1 : અરે ભાઈ આ શું છે.. કાલે જે ઍરસ્ટ્રાઇક કરી ઇન્ડિયન આર્મીએ... એ સાચી છે કે મીડિયા એમ જ બતાવી રહી છે?
પાત્ર 2 : જનાબ, એરફૉર્સનાં કેટલાંક વિમાનો ઘૂસી આવ્યાં હતાં બાલાકોટ અને નજીકના વિસ્તારમાં... પણ એ તો ખોટું છે ને એલઓસી ક્રૉસ કરવી... અલ્લાહ ફિતરત કરે..
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પાત્ર 1 : હા, કંઈક 12 જેટલાં વિમાન ગયાં હતાં... પણ પાકિસ્તાનનું જૈશ-એ-મોહમ્મદ હુમલા કરાવે છે તો ભારત જવાબ તો આપશે જ ને.. અને ભાઈ એ તો જણાવો કેટલા લોકોનાં મૃત્યુ થયાં?
પાત્ર 2 : ભાઈ... કોઈ સ્થાનિક લોકોનાં મૃત્યુ થયાં નથી... જેઓ મરી ગયા તેઓ ઉગ્રવાદી હતા.. અમે પોતે પણ એ લોકોથી પરેશાન હતા.
ત્યારબાદ કથિત વાતચીતનો ભાગ એ છે જેને સોશિયલ મીડિયા પર સૌથી વધારે વખત શૅર કરવામાં આવ્યો છે.

ઇમેજ સ્રોત, SM VIRAL POST
આ સ્ક્રીનશૉટમાં મૃતકોની સંખ્યા આશરે એટલી જ બતાવવામાં આવી છે જેટલી ભારતની કેટલીક મીડિયા ચેનલ અપુષ્ટ સૂચનાઓના આધારે જણાવી રહી છે.
ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહે પણ રવિવારના રોજ આ હુમલામાં 250 કરતાં વધારે ઉગ્રવાદીઓનાં મૃત્યુની વાત કહી હતી.
ભારતીય વાયુ સેનાના પ્રમુખ બીએસ ધનોઆએ સોમવારના રોજ જણાવ્યું હતું કે હુમલામાં મૃત્યુ પામેલા લોકોની સંખ્યા ગણાવવી એ વાયુસેનાનું કામ નથી. વાયુ સેનાને જે લક્ષ્ય આપવામાં આવ્યું હતું, તે તેમણે હિટ કર્યું.
ભારત સરકારે ઔપચારિક રૂપે આ હુમલામાં મૃત્યુ પામેલા લોકોની સંખ્યા પર કોઈ નિવેદન જાહેર કર્યું નથી.


મૅસેજ સાચો કે ખોટો?

જે વૉટ્સઍપ મૅસેજના આધારે લોકો 292 ઉગ્રવાદીઓનાં મૃત્યુની વાતને સાચી સમજી રહ્યા છે તે ખરેખર ફેક મેસેજ લાગે છે. કેમ કે પાકિસ્તાનના બાલાકોટમાં કોઈ મેડિકલ યુનિવર્સિટી છે જ નહીં.
બાલાકોટ પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના મનશેરા જિલ્લામાં છે. આ વિસ્તાર સિંધુ ઘાટી સભ્યતાના ચાર પ્રાચીન વિસ્તારોમાંથી એક છે અને કુનહર નદીના કિનારે વસેલું છે.
પાકિસ્તાનમાં પર્યટન માટે ખૂબ લોકપ્રિય બાલાકોટ દેશની રાજધાની ઇસ્લામાબાદથી આશરે 160 કિલોમિટરના અંતરે સ્થિત છે.
પાકિસ્તાનની મેડિકલ અને ડેન્ટલ કાઉન્સિલના આધારે બાલાકોટ વિસ્તારના લોકો માટે સૌથી નજીકની સરકારી મેડિકલ કૉલેજ એબટાબાદમાં સ્થિત છે.


ભારતીય વાયુસેનાએ મંગળવાર 26 ફેબ્રુઆરીના રોજ જ્યારે બાલાકોટ નજીક બૉમ્બ વરસાવ્યા હતા, ત્યારે ત્યાં પહોંચીને સ્થાનિક લોકો અને પ્રત્યક્ષદર્શીઓ સાથે સૌથી પહેલાં વાત કરવાવાળા બીબીસીના સહયોગી મિર્જા ઔરંગઝેબ જર્રાલે પણ આ વાતની પુષ્ટિ કરી છે.
તેમણે બીબીસી સંવાદદાતા પ્રશાંત ચાહલને જણાવ્યું, "બાલાકોટમાં કોઈ મેડિકલ યુનિવર્સિટી નથી. બાલાકોટમાં માત્ર એક હેલ્થ યુનિટ છે જેમાં એક ડૉક્ટર હોય છે અને કેટલાક સ્ટાફના લોકો હોય છે. અહીં દર્દીઓને દાખલ કરવાની સુવિધા નહિવત્ છે."
જર્રાલે જણાવ્યું, "હુમલા બાદ અમે બાલાકોટ, માનસેરા અને ગઢી બુલ્લાના હેલ્થ યુનિટે જઈને જોયું હતું. ત્યાં કોઈ ઘાયલ વ્યક્તિ અમને મળી ન હતી. આ બધા હેલ્થ સેન્ટર હુમલાના સ્થળથી આશરે અડધા કલાકના અંતરે સ્થિત છે."
પાકિસ્તાનના પંજાબ સાથે સંબંધ ધરાવતા પત્રકાર શિરાજ હસને ટ્વિટર પર આ વાઇરલ સંદેશની એ કહીને મજાક ઉડાવી કે પાકિસ્તાનમાં આતંકવાદ અને ઘાયલો જેવા શબ્દોનો ઉપયોગ થતો નથી.

ઇમેજ સ્રોત, Twitter
તેમણે ટ્વિટર પર લખ્યું છે, "આ મોદી ભક્તના પુરાવા પ્રમાણે બાલાકોટમાં એક બાલાકોટ મેડિકલ યુનિવર્સિટી પણ છે અને વડા પ્રધાન મોદી પણ આ ભક્તને ફૉલો કરે છે."
(જો તમને પણ આવી જાણકારી, વીડિયો, તસવીરો કે દાવાઓ મળે, જેના પર તમને શંકા હોય, તેનું સત્ય તપાસવા માટે આપ +91-9811520111 પર વૉટ્સઍપ પર અથવા બીબીસી ન્યૂઝને મોકલી આપો.)
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













