PM મોદીની જ્ઞાતિ સવર્ણમાંથી OBC બની હતી? રાહુલ ગાંધીએ શું ટિપ્પણી કરી?

ઇમેજ સ્રોત, ANI
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી આખી દુનિયા સામે જુઠ્ઠું બોલી રહ્યા છે. તેઓ ઓબીસી વર્ગમાં પેદા થયા નથી, પણ સામાન્ય વર્ગમાં પેદા થયા છે.
છત્તીસગઢમાં ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન તેમણે કહ્યું, "સૌથી પહેલા હું એ જણાવી દઉં કે નરેન્દ્ર મોદીજી ઓબીસીમાં પેદા નથી થયા. તમને લોકોને ભયંકર મૂર્ખ બનાવાઈ રહ્યા છે. નરેન્દ્ર મોદીજી તેલી જાતિમાં પેદા થયા છે. તેમના સમુદાયને ભાજપ સરકારે વર્ષ 2000માં ઓબીસીનો દરજ્જો આપ્યો હતો. તેઓ સામાન્ય વર્ગમાં પેદા થયા છે. તેઓ આખી દુનિયામાં જુઠ્ઠું બોલી રહ્યા છે કે હું ઓબીસીમાં પેદા થયો છું."
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
"મને આ જાણવા માટે કોઈ જન્મના પ્રમાણપત્રની જરૂર નથી. હું એ જાણું છું કે પીએમ કોઈ ઓબીસીને ગળે લગાડતા નથી. તેઓ કોઈ પણ ખેડૂત-મજૂરનો હાથ નથી પકડતા."
"તમે કરોડોનો સૂટ પહેરો છો. દિવસમાં અનેક વાર કપડાં બદલો છો, પછી જુઠ્ઠું બોલો છો કે હું ઓબીસી વર્ગમાં માણસ છું."
તો ભાજપના પ્રવક્તા ગૌરવ ભાટિયાએ પણ રાહુલ ગાંધીના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે.
તેમણે કહ્યું કે "જ્યારે રાહુલ ગાંધી અને કૉંગ્રેસના નેતા પીએમ મોદીને ગાળો આપે છે તો તેઓ વડા પ્રધાનનું અપમાન કરે છે. પણ વાસ્તવિકતા એ છે કે તેઓ એ પ્રત્યેક નાગરિકને ઠેસ પહોંચાડે છે. જે ઓબીસી સમાજમાંથી આવે છે."

ઇમેજ સ્રોત, ANI
ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણી દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે તેઓ ઓબીસી જાતિના છે.
કૉંગ્રેસ ઉપર નિશાન સાધતી વખતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અગાઉ મહારાષ્ટ્રના સોલાપુર ખાતે એક રેલી દરમિયાન મોદીએ કહ્યું કે 'પછાત જાતિના હોવાને કારણે તેમને હંમેશા ટાર્ગેટ કરવામાં આવે છે.'
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કૉંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ 'ચોકીદાર ચોર હૈ' અને 'તમામ ચોરોની અટક મોદી છે' જેવા નિવેદન અંગે મોદીએ કહ્યું, "પછાત હોવાને કારણે અમારા જેવાએ અનેક વખત સમસ્યાઓનો સામનો કરવો પડે છે. અનેક વખત કૉંગ્રેસ અને તેનાં સાથીઓએ 'મારી ઔકાત બતાવવાવાળી, મારી જાતિ બતાવવાળી' વાતો કહી છે."
મોદીએ કહ્યું હતું, "કૉંગ્રેસના નામદારે પહેલાં ચોકીદારોને ચોર કહ્યા, જ્યારે તેનાથી કંઈ ન વળ્યું, એટલે હવે 'જેનું નામ મોદી છે, એ બધાય ચોર છે' એવું કહેવાનું શરૂ કર્યું છે."
મોદીએ કહ્યું હતું, "પરંતુ આ વખતે તો વધુ આગળ વધી ગયા અને આખા ઓબીસી સમાજને જ ચોર કહ્યો છે."

2002 પહેલાં મોદી સવર્ણ હતા?

ઇમેજ સ્રોત, Getty Images
2014માં નરેન્દ્ર મોદીએ પ્રથમ વખત જાહેરમાં ખુદને પછાતવર્ગના કહ્યા હતા, જેના કારણે ખાસ્સો વિવાદ થયો હતો.
ત્યારે કૉંગ્રેસે આરોપ મૂક્યો હતો કે મોદીએ સત્તા ઉપર આવ્યા બાદ, ખુદની જ્ઞાતિને પછાતવર્ગમાં મુકાવી હતી.
જોકે, ગુજરાત સરકારે સ્પષ્ટતા આપી કે વર્ષ 1994થી ઘાંચી સમાજને ઓબીસી (અધર બૅકવર્ડ ક્લાસ)નો દરજ્જો મળેલો છે, મોદી ઘાંચી જ્ઞાતિના છે.
ગુજરાત કૉંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે મોદી ઉપર આરોપ મૂક્યો હતો કે મોદી પછાત જ્ઞાતિના નથી. પરંતુ રાજકીય લાભ ખાટવા માટે 2001માં મુખ્ય મંત્રી બન્યા પછી મોદીએ 2002માં તેમની જ્ઞાતિને પછાતવર્ગમાં મુકાવી હતી.

ગુજરાત સરકારનો સર્ક્યુલર

ગોહિલે ગુજરાત સરકારના વર્ષ 2002ના એક સર્ક્યુલરનો હવાલો આપી આરોપ મૂક્યો હતો કે મોદીએ મુખ્ય પ્રધાન બન્યા બાદ પોતાની જ્ઞાતિને ઓબીસી શ્રેણીમાં સમાવિષ્ટ કરાવવા માટે નિયમો નેવે મૂક્યા હતા.
એ સમયે ગોહિલે બીબીસીને જણાવ્યું હતું કે આરટીઆઈ (રાઇટ ટુ ઇન્ફર્મેશન)ના આધારે તેમણે પૂછ્યું હતું કે ઘાંચી જ્ઞાતિને ઓબીસીમાં ક્યારે સમાવવામાં આવી?
ગોહિલના મતે, "ગુજરાતમાં મોદીની મોઢ ઘાંચી જ્ઞાતિની ગણતરી ધનિક અને સમૃદ્ધ જ્ઞાતિ તરીકે થાય છે. મોદી મુખ્ય મંત્રી બન્યા, તે પહેલાં આ જ્ઞાતિનો સમાવેશ ઓબીસીમાં થતો ન હતો."
"મોદીએ પોતાની સગવડ માટે ગુજરાત સરકારની વ્યવસ્થા બદલી હતી. મોઢ ઘાંચીને ઓબીસીની યાદીમાં મૂકવા અંગે કોઈ માગ થઈ ન હતી."
"આમ છતાં ખુદને પછાત જ્ઞાતિના જણાવીને વોટબૅન્કનું રાજકારણ રમી શકાય તે માટે તેમણે ખુદને પછાત જણાવ્યા હતા."
પહેલી જાન્યુઆરી, 2002ના દિવસે ગુજરાત ગુજરાત સરકારે મોઢ ઘાંચી જ્ઞાતિને ઓબીસીની યાદીમાં સમાવિષ્ટ કરવાનો સર્ક્યુલર કાઢ્યો હતો તેની નકલ બીબીસી ગુજરાતી પાસે છે.
જોકે, જે તે સમયે ગુજરાત સરકારના પ્રવક્તા અને હાલના નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે "ગુજરાત સરકારના સમાજ કલ્યાણ વિભાગે તા. 25મી જુલાઈ 1994ના દિવસે એક જાહેરનામું બહાર પાડીને 36 જ્ઞાતિઓને ઓબીસીની શ્રેણીમાં સામેલ કરી હતી."
"તેની 25-બમાં મોઢ જ્ઞાતિનો ઉલ્લેખ હતો, એ જ્ઞાતિનો ઉલ્લેખ છે, જેને ઓબીસીની યાદીમાં સમાવિષ્ટ કરવામાં આવી."
કોણ છે મોઢ ઘાંચી?

ઇમેજ સ્રોત, Ankur Jain
ગુજરાતના ઘાંચી સમાજને અન્ય રાજ્યોમાં 'સાહુ' કે 'તેલી' તરીકે ઓળખવામાં આવે છે. પરંપરાગત રીતે તેઓ ખાદ્યતેલનો વેપાર કરે છે. ગુજરાતમાં હિંદુ અને મુસ્લિમ એમ બંને કોમમાં ઘાંચી સમુદાય હોય છે.
ઉત્તર ગુજરાતના મોઢેરાના ઘાંચી મોઢ ઘાંચી તરીકે ઓળખાય છે. ગોધરા હત્યાકાંડના મોટાભાગના આરોપીઓ ઘાંચી મુસલમાન હતા.
વિખ્યાત સમાજશાસ્ત્રી અચ્યુત યાજ્ઞિકે કહ્યું હતું કે 'મોદી બનાવટી ઓબીસી છે, એમ કહેવું ખોટું હશે.'
યાજ્ઞિકે કહ્યું, "કૉંગ્રેસનો આરોપ ખોટો છે ,કારણ કે ઘાંચી ઓબીસીની યાદીમાં જ આવે છે. મોદી જે જ્ઞાતિમાં આવે છે, તે ઘાંચીની ઉપ-જ્ઞાતિ જ છે, એટલે તેઓ ઓબીસીમાં જ ગણાય."
ગુજરાતના રાજકીય ચિંતક ઘનશ્યામ શાહ પણ યાજ્ઞિકની વાત સાથે સહમત જણાયા.

પરિપત્ર કેમ બહાર પડાયો હતો?

ઇમેજ સ્રોત, Getty Images
ઘનશ્યામ શાહે કહ્યું, "ઘાંચી સમાજ ગુજરાતભરમાં ફેલાયેલો છે. જે લોકો મોઢેરાના સૂર્યમંદિરની આજુબાજુ રહે છે તેઓ મોઢ-ઘાંચી તરીકે ઓળખાય છે."
જો મોદીની જ્ઞાતિ ઓબીસી હેઠળ આવતી હતી, તો વર્ષ 2002માં શા માટે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો?
નામ ન આપવાની શરતે ગુજરાત સરકારના ઉચ્ચ અધિકારીએ બીબીસી હિંદીને જણાવ્યું હતું: "જે સમયે ઘાંચી સમાજને ઓબીસીની યાદીમાં મૂકવામાં આવ્યો, ત્યારે જ તેની ઉપ-જ્ઞાતિને પણ સામેલ કરી દેવી જોઈતી હતી. પણ એવું નહોતું થયું."
"એટલે જ નવો પરિપત્ર કાઢીને મોઢ ઘાંચી જ્ઞાતિને આ યાદીમાં સામેલ કરવી પડી."
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું મોદીના કહેવાથી આમ કરવામાં આવ્યું, તો તેમણે 'ખબર નહીં' કહીને વાત ટૂંકાવી દીધી.
(આ અહેવાલ સૌપ્રથમ એપ્રિલ, 2019માં પ્રકાશિત થયો હતો, તેને અપડેટ કરવામાં આવ્યો છે)

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












