રાહુલ ગાંધીએ દાહોદમાં આદિવાસીઓને કહ્યું, 'નવું ગુજરાત બનાવવું પડશે'

રાહુલ ગાંધી આજે ગુજરાતની મુલાકાત છે અને તેઓ દાહોદ પહોંચ્યા છે. જ્યાં તેમણે નવજીવન આર્ટ્સ ઍન્ડ કૉમર્સ કૉલેજમાં 'આદિવાસી સત્યાગ્રહ રેલી'માં હાજરી આપી છે. ત્યાર બાદ તેઓ દાહોદના ગોવિંદનગરસ્થિત સ્વામી વિવેકાનંદ સંકુલમાં કૉંગ્રેસના ધારાસભ્યો અને આદિવાસી નેતાઓ સાથે બેઠક યોજશે.

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Hindustan Times

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

રાહુલ ગાંધીએ દાહોદમાં આદિવાસીઓને સંબોધતાં કહ્યું કે "આદિવાસીઓ સાથે શું થઈ રહ્યું છે?"

"જળ, જમીન, જંગલ તમારાં છે, આ ગુજરાતની સરકારનાં નથી, આ ગુજરાતનાં મુખ્ય મંત્રીનાં નથી, આ ગુજરાતના ગણતરીના વેપારીઓનાં નથી."

"આ તમારાં છે, અને છતાં આ જળ, જમીન, જંગલનો લાભ તમને મળતો નથી."

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં કૉંગ્રેસના દિગ્ગજ નેતા અશ્વિન કોટવાલ ભાજપમાં જોડાયા છે અને આમ આદમી પાર્ટીએ ભારતીય ટ્રાઇબલ પાર્ટી સાથે ગઠબંધનની જાહેરાત કરી છે.

ત્યારે રાહુલ ગાંધીની આ મુલાકાતને આદિવાસી મતદારો સાથે સંપર્ક અભિયાનના ભાગરૂપે જોવામાં આવી રહ્યું છે.

line

કૉંગ્રેસ નેતાઓનાં રાજીનામાં

અશ્વિન કોટવાલ અને સી. આર. પાટીલ

ઇમેજ સ્રોત, @BJP4GUJARAT/TWITTER

ઇમેજ કૅપ્શન, અશ્વિન કોટવાલ અને સી. આર. પાટીલ

થોડા દિવસ પહેલાં ખેડબ્રહ્મા વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને આદિવાસી સમાજના આગેવાન અશ્વિન કોટવાલ રાજીનામું આપીને ભાજપમાં જોડાયા છે.

ભાજપમાં જોડાતી વખતે તેમણે કહ્યું કે, "જે પાર્ટીમાં હું કામ કરી રહ્યો હતો, તેની કામ કરવાની પદ્ધતિથી નારાજ હતો. વડા પ્રધાન મોદી જ્યારે ગુજરાતના મુખ્ય મંત્રી હતા, ત્યારે મેં વાત કરી હતી કે એનજીઓ આદિવાસીઓનું શોષણ કરે છે."

"વડા પ્રધાન મોદી જ્યારે સંઘનું કામ કરતા હતા ત્યારે ઉમરગામથી અંબાજી સુધી આદિવાસીઓનાં ઘરેઘરે ફર્યા છે. ત્યાર બાદ રાજકારણમાં આવતાં પહેલાં આદિવાસીઓની પરિસ્થિતિ અંગેનો અભ્યાસ કર્યા બાદ તેમણે મને 2007માં કહ્યું હતું કે ગુજરાતનો દરેક આદિવાસી પાકા મકાનમાં રહેવો જોઈએ. વીજળી અને પાણીની વ્યવસ્થા મળવી જોઈએ. તેમને બે ટંકનું ભોજન મળવું જોઈએ."

આ સિવાય કૉંગ્રેસના નેતા શ્વેતા બ્રહ્મભટ્ટે પણ રાહુલ ગાંધીની મુલાકાતના એક દિવસ પહેલાં ફેસબુક પેજ પર રાજીનામું આપ્યું છે.

બદલો Facebook કન્ટેન્ટ

આ કન્ટેન્ટ ઉપલબ્ધ નથી

Facebook પર વધુ મેળવોબહારની વેબસાઇટ્સની સામગ્રી માટે બીબીસી જવાબદાર નથી.

Facebook કન્ટેન્ટ પૂર્ણ

સોનિયા ગાંધીને સંબોધીને લખેલા રાજીનામામાં તેમણે કહ્યું છે કે વિચાર કૉંગ્રેસને પુનઃજીવિત કરવાનો હતો. હું જે વિઝન સાથે જોડાઈ હતી તે દેશના વિકાસ કાર્યોમાં યોગદાન આપવાનો હતો.

તેમના દાવા પ્રમાણે વડા પ્રધાનને મળ્યા બાદ પાર્ટીમાં મહિલાઓ સહિતના નેતાઓએ તેમની સાથે નિમ્ન કક્ષાની ભાષાનો પ્રયોગ કર્યો હતો અને અવારનવાર રજૂઆતો કરવા છતાં તેમને યોગ્ય ઉત્તર મળતો ન હતો.

છેલ્લા કેટલાક દિવસોમાં સંખ્યાબંધ નેતાઓ અને કાર્યકરોએ કૉંગ્રેસ સાથે છેડો ફાડ્યો છે અને ભાજપમાં જોડાયા છે.

line

આમ આદમી પાર્ટી અને બીટીપીનું ગઠબંધન

અરવિંદ કેજરીવાલ સાથે છોટુ વસાવા

ઇમેજ સ્રોત, @AAPGUJARAT

ઇમેજ કૅપ્શન, અરવિંદ કેજરીવાલ સાથે છોટુ વસાવા

ભરૂચસ્થિત ભારતીય ટ્રાઇબલ પાર્ટી તથા આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધનની જાહેરાત કરવામાં આવી છે. બંને પાર્ટીના શીર્ષસ્થ નેતાઓએ ગુજરાતના સ્થાપનાદિવસ પહેલી મેના રોજ ભરૂચ નજીક વાલિયા ખાતે આદિવાસી સભાને સંબોધી હતી.

દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ અને ગુજરાત આપના નેતા મંચ પર તો હતા, પરંતુ આ બીટીપીના છોટુભાઈ વસાવાનું શક્તિપ્રદર્શન વધારે હતું.

ભીલ સમુદાયના વસાવાનું રાજકારણ આદિવાસી અધિકાર, અસ્મિતા, અનુસૂચિ-5ના અમલીકરણ અને વિકાસ પર કેન્દ્રિત રહ્યું છે. આ માટે તેઓ ભૂતકાળમાં કૉંગ્રેસ, એઆઈએમઆઈએમ સાથે ગઠબંધન કરી ચૂક્યા છે.

ત્યારે આ વખતે આમ આદમી પાર્ટી સાથેના ગઠબંધનથી કૉંગ્રેસને બેઠકો પર ફટકો પડે તેવી પૂરેપૂરી શક્યતા છે. જેના કારણે પણ રાહુલ ગાંધીની આ મુલાકાતને સૂચક માનવામાં આવી રહી છે.

line

કૉંગ્રેસમાં જૂથબંધી અને નારાજગી

હાર્દિક પટેલ

ઇમેજ સ્રોત, Getty Images

હાર્દિક પટેલ પાછલા ઘણા દિવસથી ગુજરાત કૉંગ્રેસ પ્રત્યે પોતાની નારાજગી વ્યક્ત કરી ચૂક્યા છે. તેમણે અવારનવાર આક્ષેપ કર્યા છે કે પ્રદેશના નેતાઓ અને કૉંગ્રેસનાં મોટાં માથાં કામ કરવા દેતાં નથી.

હાર્દિકની કૉંગ્રેસ પ્રત્યેની નારાજગીનો અર્થ ઘણા વિશ્લેષકો એવો કાઢે છે કે તેઓ ભાજપમાં સામેલ થઈ શકે છે.

અગાઉ પત્રકારો સાથેની વાતચીતમાં હાર્દિક ભાજપમાં સામેલ થવાની વાત અંગે કહ્યું હતું કે, "મારી કૉંગ્રેસ છોડવાની અને ભાજપમાં સામેલ થવાની વાતો પાછલા ઘણા સમયથી સમાચાર સંસ્થાઓ સૂત્રોને આધારે ચલાવી રહી છે."

"હાલના સંજોગો અનુસાર ભાજપમાં સામેલ થવાની વાત ક્યાંય આવતી નથી. પરંતુ ભવિષ્યમાં ગમે ત્યારે આવો રાજકીય નિર્ણય લેવાની પરિસ્થિતિ સર્જાશે તો જાણ કરીશ."

આ પરિસ્થિતિની વચ્ચે રાહુલ ગાંધી ગુજરાત આવ્યા છે અને તેઓ આદિવાસીઓની બહુમતી ધરાવતા પંચમહાલમાં સભા અને બેઠકો યોજી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીની મુલાકાત બાદ બુધવારે આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાત આવી રહ્યા છે.

લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો